મેળો : આ શબ્દ સાંભળતાં જ મનમાં આનંદ ની લાગણી છવાઇ જાય છે. મેળા ધર્મ, સંસ્કૃતિ અને માનવ હૈયાના ઉલ્લાસ નો ત્રિવેણી સંગમ છે.તે લોકજીવન ના પડછાયા છે. આજકાલ શહેરોમાં વસતા ભૂલકાં ઓ કદાચ પારંપરિક મેળાઓ માં ના જઈ શક્યા હોય પણ બાકી પાછલા દશકા ના બધાજ લોકો મેળાથી જોડાયેલા હોય છે . મેળો સહુના જીવનમાં સંભરણા લઈને આવે છે. ગુજરાત માં લોકસંસ્કતિનું હંમેશા આગવું મહત્વ રહ્યું છે તેથી જ અહી પ્રાચીન કાળ થી અલગ અલગ પ્રસંગ અને સમય પર મેળાઓ થતાં રહ્યા છે. ગુજરાતની સંસ્કૃતિ ને નજીક થી જાણવા આ મેળાઓ વિશે જાણવું આવશ્યક છે.તેથી જ યાયાવરવર્ડ્સ માં ગુજરાત ના દરેક મેળાઓ ની માહિતી આપવા માટે એક શ્રેણી રજૂ કરીએ છીએ : “ગુજરાતના મેળાઓ” જેમાં કુલ ૨૨ મેળાઓની માહિતી સમયાંતરે રજૂ થશે
તરણેતરનો મેળો
ગુજરાતના અનેક લોકમેળા માં સૌથી પ્રસિદ્ધ એવો તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ માં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાય છે. આ મેળો વિશ્વ વિખ્યાત હોવાની સાથે જ ઐતિહાસીક પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે.
ત્રિનેત્રેશ્વર નામનું અપભ્રંશ થઈને ગામનું નામ તરણેતર થયું. પ્રાગ ઐતિહાસિક કાળમાં સૌરાષ્ટ્ર વિસ્તાર દ્વીપકલ્પ હતો.પછીથી તે પાંચાળ કેહવાયો.સ્કંદપુરાણ માં એવો ઉલ્લેખ છે કે ભગવાન વિષ્ણુ એ શિવજી ને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી અને તેઓને ૧૦૦૧ કમળ ચડવવાનાં હતા. મૂર્તિ ઉપર ૧૦૦૦ કમળ થઈ ગયા અને છેલ્લું એક કમળ ખૂટ્યું ત્યારે તેમને પોતાનુ નેત્ર શિવજી ઉપર ચડાવ્યું ત્યારથી તે ત્રિનેત્રેશ્વર કહેવાયા.

બીજી એક દંતકથા મુજબ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવ ના મંદિર ની ફરતા કુંડ માં પાંચ ઋષિઓએ ભેગા થઈ ગંગાજીના અવતરણ માટે આહ્વાન કરી ગંગાજીનું પ્રાગટ્ય કર્યું.તેની પાછળનો ઉદ્દેશ્ય કદાચ તે હોય શકે કે આ વિસ્તારની ગરીબ પ્રજા કદાચ ગંગાજી સુધી હરિદ્વાર કે ઋષિકેશ ન જઈ શકે તો ગંગાજીને જ અહીં કેમ ના લાવી શકાય એવી ભાવના. ગંગાજીના અવતરણ ને નિમિત્ત બનાવી માણસો પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે ઋષિપંચમી ના દિવસે તરણેતર આવતા થયા.
પાંચાળ પ્રદેશની કોળી જ્ઞાતિ ના લોકોમાં આ મેળાનું સૌથી વધુ મહત્વ છે.તેઓ એક વર્ષ ની મેળો પતે કે તરતજ બીજા વર્ષની તૈયારી માં લાગી જતાં હોય છે. અહી વિશિષ્ટ રીતે શણગાર કરેલા બળદગાડાં વખણાય છે. તરણેતર ના મેળામાં રૂપાળા ભરત ભરેલ, મોતી, આભલાં અને ફૂમતા રૂમાલ થી શ્ણગારેલી છત્રીઓ પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે. દરેક ગામના બળદગાડાં ના અલગ અલગ ઉતારા હોય છે.

,તરણેતરનો મેળો એટલે આનંદ, યુવાની અને કળા નો અનેરો સંગમ.ભાદરવા સુદ ત્રીજ ના દિવસે સવારે મહાદેવ ના પૂજન થી મેળાની શરૂઆત થાય ત્યારબાદ ચોથા દિવસે રંગત જામે, યુવાન હૈયાં હરખાય. રાસ ગરબા, દુહા અને છંદની રમઝટ બોલે, ટીટોડો અને હુડારાસ એ તરણેતરના મેળા નું આગવું અંગ છે. ત્યારબાદ રુષિપાચમ ના દિવસે વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળીયાદ ના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવ ને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. આ દિવસે મંદિરની ત્રણ દિશામાં આવેલા કુંડમાં નાવા નું અનેરું મહાત્મ્ય છે . સાંજે ગંગા વિદાય આરતી થાય છે..


તરણેતરના મેળા યુવાન હૈયાઓ ના મિલન સ્થાન પણ કહી શકાય છે સગપણથી જોડાયેલા યુવક-યુવતીઓ આ મેળામાં મળતાં હોય છે, તેના વિકલ્પ રૂપે ત્યાં એક નાની બનેવી બજાર પણ ભરાય છે. અહીં બનેવીના પૈસાથી ખરીદી થતી હોવાની પ્રથાને કારણે બનેવીનું બજાર એવું નામ અપાયું છે

પાંચાળ વિસ્તાર મજબૂત બાંધાના માણસો નો વિસ્તાર છે. આ મેળામાં રમતોને જીવંત કરવા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતે પહેલ કરી છે. પરિણામે બહોળી સંખ્યામાં યુવાનો ભાગ લે છે. આ મેળામાં રાજ્ય સરકારે બીજું મહત્વનું કાર્ય પશુ પ્રદર્શન સ્પર્ધા યોજવાનું કર્યું છે. વર્ષ 2008થી પશુ પ્રદર્શન સ્પર્ધામાં શ્રેષ્ઠ ગુણધર્મો વાળા પશુઓ , તેના થકી મળતો ઉચ્ચ તથા વળતર, તેમનું સારામાં સારી રીતે પાલન કેવી રીતે શક્ય છે તે બાબતોનું જ્ઞાન આપવામાં આવે છે
આમ મેળો લોક જીવનને આનંદથી છલોછલ બનાવી નવી ચેતનાનો સંચાર કરે છે. રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે થતા અનેકવિધ પ્રયાસો થકી આ મેળો દેશની સીમાઓ વટાવી ને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી ચુક્યો છે.
આધાર : ગુજરાતના લોકઉત્સવો અને મેળાઓ પુસ્તક, શીર્ષક ફોટો : Vtv ગુજરાતી