જૂનાગઢના ગિરનારની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. ભવનાથના સ્વયંભુ શિવલીંગના મંદિરની પૃષ્ઠભૂમિ અદભુત વનશ્રી થી નિસર્ગ થી રળિયામણી લાગે છે. આજ સ્થળે દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મહા વદ અગિયારસ થી મહા વદ અમાસ સુધી યોજાતો ભવનાથનો મેળો ગુજરાતના સૌથી અગત્યના મેળાઓમાં નો એક છે.

જૂનાગઢ જિલ્લામાં વર્ષ દરમિયાન ૧૧ જેટલા ઉલ્લેખનીય મેળાઓ ભરાય છે, જેમાં કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી લીલી પરિક્રમા,અમાસ, ભવનાથ ખાતે મહા વદ ચૌદસને દિવસે મહાશિવરાત્રીનો મેળો, પરબાવડી અને સતાધાર ખાતે અષાઢ સુદ બીજ નો મેળો, સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ ખાતે કાર્તિકી પૂર્ણિમાનો મેળો, પ્રાચીન તીર્થ ખાતે ચૈત્ર સુદ તેરસ ચૌદસ નો મેળો, વેરાવળ ખાતે ભાદ્રપદ સુદ અગિયારસ નો રામદેવપીર નો મેળો મહત્વના અને દર્શનીય મેળા છે.
પ્રખ્યાત ભવનાથના મેળામાં મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ ભગવાન ભવનાથ ની મહાપૂજા થાય છે.મહાપૂજાના દર્શન કરવા આસપાસના વિસ્તારો ઉપરાંત ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ખૂણેખૂણેથી સાધુ-સંતો અને નાગા બાવાઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. લોકો માટે ઠેરઠેર અન્નક્ષેત્રો ખુલે છે. મેળા દરમિયાન સંતો અને અલખના આરાધકો ભગવાન મહાદેવના સાનિધ્યમાં ધૂણી ધખાવી સત્સંગ કરે છે. નાગા બાવાઓના હાથમાં લાકડી તલવાર શરીરે ભભૂત અને મસ્તક પર જટા ધારી દેખાવ ભવનાથ ના મેળા ને ગુજરાતના અને મારાથી અલગ આપે છે.

મહા વદ નોમના દિવસે ભવનાથ મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચડાવવામાં આવે છે.આ સમય નાગાબાવાઓ હાથી ઉપર સવારી કરી શંખધ્વનિ કરતા અને જાતજાતના વાદ્યો વગાડતા મહાદેવના જયનાદ કરે છે. આ સ્થળે મોત ભર્તુહરિ અને ગુરુદત્ત ની ગુફાઓ પણ જોવા મળે છે. અહીં લાખોની સંખ્યામાં ઉમટ્યા લોકો માટે તંબુઓ બાંધવામાં આવે છે. જેમાં એક સાથે 300- 400 લોકો રહી શકે છે રાત્રે સાધુ-સંતો ભજન મંડળીઓ જમાવે છે. આ અલૌકિક મેળો લગભગ ૧૦ દિવસ ચાલે છે. અહી લોકો માટે સરકાર દ્વારા કરવામાં આવતી વાહન વ્યવસ્થા પ્રશંસનીય હોય છે.
ભવનાથ ના મેળા માટે સ્કંદ પુરાણમાં એક કિસ્સો આપેલો છે. આ દંતકથા મુજબ જ્યારે શિવ પાર્વતી રથમાં આકાશમાં જતા હતા ત્યારે તેમનું દિવ્ય ઘરેણું નીચે ભવનાથ મંદિર પાસે પડ્યું. આથી તેને વસ્ત્ર પૂતક્ષેત્ર એવું કહેવામાં આવે છે.
મહાશિવરાત્રીના દિવસે થતી મહાપૂજાના સમયે શંખોના ધ્વનિ સાથે નીકળેલું નાગાબાવાઓનું સરઘસ તેઓનું મૃગીકુંડમાં સ્નાન અને ગિરનારની તળેટીમાં થતો શંખનાદ એક આધ્યાત્મિક અનુભવ હોય છે. કહેવાય છે કે મૃગીકુંડમાં આવવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને ચોર્યાશી સિધ્ધોનું સ્થાનક એવા ગિરનારમાં ભર્તુહરિ ગોપીચંદ અને અશ્વત્થામા રહે છે અને શિવરાત્રીના દિવસે આ સીધો મૃગી કુંડમાં નહાવા જાય છે.એવી પણ માન્યતા છે કે સાધુ એકવાર કુંડ માં નાહવા પડે છે પછી બહાર દેખાતા નથી. જૂનાગઢમાં ગિરનાર નું આધ્યાત્મિક સ્વરૂપ ભવનાથના મેળાના દિવસોમાં જાણે ઝળહળ પ્રગટી ઊઠે છે.